પાકિસ્તાનમાં ન્યાયતંત્ર પર તરાપ: વડાપ્રધાનને બોલાવવાની વાત કરી અને એક જ કલાકમાં જજની ખુરશી છીનવાઈ ગઈ!
પાકિસ્તાનની લોકશાહી અને ત્યાંની ન્યાયિક વ્યવસ્થા ફરી એકવાર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાન સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેનો ગજગ્રાહ એટલો વધી ગયો છે કે, હવે ખુલ્લેઆમ જજો પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં, ઈસ્લામાબાદ હાઈકોર્ટના એક જજે વડાપ્રધાન શહેબાઝ શરીફને કોર્ટમાં હાજર થવા (તલબ કરવા) માટેની ચેતવણી આપી અને તેના માત્ર એક જ કલાકમાં તે જજની બદલી કરી દેવામાં આવી.
શું હતો સમગ્ર મામલો?
ઘટના મંગળવારની છે, જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA) માં નાણાકીય સભ્યોની નિમણૂકમાં થઈ રહેલા વિલંબ અંગે સુનાવણી ચાલી રહી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ મોહસીન અખ્તર કયાની કરી રહ્યા હતા. પાકિસ્તાની અહેવાલ મુજબ, આ નિમણૂકો લાંબા સમયથી અટકેલી હતી, જેનાથી જજ કયાની નારાજ હતા.
સુનાવણી દરમિયાન જસ્ટિસ કયાનીએ સરકારના વકીલને કડક શબ્દોમાં કહ્યું કે, “જો 18 મે સુધીમાં આ નિમણૂકો ફાઈનલ કરવામાં નહીં આવે, તો હું પોતે વડાપ્રધાનને કોર્ટમાં તલબ કરીશ.” તેમણે સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા ઉમેર્યું કે, સરકાર જાણી જોઈને આ મામલાને ખેંચી રહી છે અને તેમની દાનત સાફ દેખાતી નથી.
માત્ર એક કલાકમાં ‘સજા’ તરીકે બદલી
જજ દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ આકરી ટિપ્પણી કર્યાના માંડ એક કલાક બાદ સરકાર અને ન્યાયિક પંચ સક્રિય થયું. એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, જસ્ટિસ કયાનીને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી હટાવીને લાહોર હાઈકોર્ટમાં મોકલી દેવામાં આવ્યા. રસપ્રદ વાત એ છે કે ન્યાયિક પંચના કેટલાક સભ્યો આ ટ્રાન્સફર સાથે સંમત નહોતા, તેમ છતાં બહુમતીના જોરે ઠરાવ પસાર કરીને તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા.
જોકે, સરકારના કાયદા વિભાગે આને ‘સામાન્ય વહીવટી પ્રક્રિયા’ ગણાવી છે, પરંતુ સમય અને સંજોગો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.
માત્ર એક નહીં, ત્રણ જજો પર પડી ગાજ
પાકિસ્તાન સરકારે માત્ર જસ્ટિસ કયાની જ નહીં, પણ અન્ય બે જજોની પણ બદલી કરી છે જેઓ સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા હતા:
જસ્ટિસ બાબર સત્તાર: તેમને લાહોરથી પેશાવર હાઈકોર્ટ મોકલી દેવાયા છે.
જસ્ટિસ રફત ઇમ્તિયાઝ: તેમની બદલી સિંધ હાઈકોર્ટમાં કરવામાં આવી છે.
આ ત્રણેય જજો તાજેતરના સમયમાં સરકાર વિરુદ્ધના ચુકાદાઓ અને કડક ટિપ્પણીઓ માટે જાણીતા હતા. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ બદલીઓ પાછળનો મુખ્ય હેતુ ન્યાયતંત્રમાં સરકારનો વિરોધ કરી રહેલા અવાજોને દબાવવાનો છે.
ન્યાયતંત્ર પર સેના અને સરકારનો કબજો?
પાકિસ્તાનમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા હંમેશા જોખમમાં રહી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અનેકવાર આક્ષેપ કર્યો છે કે દેશની અદાલતો હવે સરકારનું ‘ખિલોણું’ બની ગઈ છે. ઈમરાન ખાનના મતે, જજો પર એટલું દબાણ છે કે તેઓ ન્યાય કરી શકતા નથી.
બંધારણમાં 27મો સુધારો અને વિવાદ:
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકાર અને ત્યાંની શક્તિશાળી સેનાએ ન્યાયતંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે બંધારણમાં 27મો સુધારો કર્યો છે. આ સુધારા બાદ હવે સરકાર પાસે એવી સત્તા છે કે તે પોતાની મરજી મુજબ જજોની બદલી કરી શકે છે અથવા તેમને પદ પરથી હટાવી શકે છે. આ સુધારાને કારણે ન્યાયતંત્રની સ્વાયત્તતા ખતમ થઈ રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
લોકોમાં ભારે રોષ અને અવિશ્વાસ
જજ કયાનીની બદલી બાદ સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાની ન્યાયતંત્રની મજાક ઉડાવી રહ્યા છે અને તેને ‘બનાના રિપબ્લિક’ (Banana Republic) ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો હાઈકોર્ટના જજ પણ સુરક્ષિત નથી અને તેમને વડાપ્રધાનને સવાલ પૂછવા બદલ સજા મળતી હોય, તો સામાન્ય નાગરિકને ન્યાય કેવી રીતે મળશે?

