શું ખુરશી તમને બીમાર બનાવી રહી છે? દર કલાકે કરો આ નાનકડું કામ, રહેશે શરીર એકદમ ફિટ!
આજના આધુનિક વર્કિંગ કલ્ચરમાં આપણું જીવન મોટાભાગે એક ખુરશી અને લેપટોપની આસપાસ જ ફરે છે. આઈટી કંપનીઓ હોય કે બેંકિંગ સેક્ટર, ઓફિસમાં સતત ૮ થી ૯ કલાક એક જ જગ્યાએ બેસીને કામ કરવું એ આજના સમયની અનિવાર્યતા બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ‘ડેસ્ક જોબ’ તમારા શરીરને અંદરથી કેટલું નુકસાન પહોંચાડી રહી છે? સતત બેસી રહેવાની આ આદત કમરના દુખાવા ઉપરાંત અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. પરંતુ ગભરાશો નહીં, કારણ કે તાજેતરના એક સંશોધને આ સમસ્યાનો ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે.
સતત બેસી રહેવું છે ‘સાયલન્ટ કિલર’
ઘણા લોકો માને છે કે દિવસના અંતે જીમમાં જઈને વર્કઆઉટ કરવાથી દિવસભરના બેસી રહેવાના નુકસાનની ભરપાઈ થઈ જાય છે, પરંતુ વૈજ્ઞાનિકો આ વાત સાથે સહમત નથી. લાંબો સમય એક જ સ્થિતિમાં બેસી રહેવાથી શરીરની પાચનશક્તિ ધીમી પડે છે અને સ્નાયુઓમાં જકડન આવે છે. રિસર્ચ અનુસાર, લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરની મેટાબોલિક પ્રક્રિયાઓ ખોરવાય છે, જે નીચે મુજબની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે:
-
મેદસ્વીપણું (Obesity): શારીરિક હલનચલન ન હોવાથી કેલરી બર્ન થતી નથી, જે વજન વધારવાનું મુખ્ય કારણ બને છે.
-
ડાયાબિટીસ: બેસી રહેવાથી શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા ઘટે છે, જેનાથી ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
-
હૃદયના રોગો: સતત બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ (Blood Circulation) પ્રભાવિત થાય છે, જે હૃદય સંબંધિત સમસ્યાઓ નોતરે છે.
‘બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન’નો ક્રાંતિકારી રિપોર્ટ
તાજેતરમાં ‘બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન’માં એક ચોંકાવનારો અભ્યાસ પ્રકાશિત થયો છે. આ રિસર્ચમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો તમારે બેસીને કામ કરવાથી થતા નુકસાનથી બચવું હોય, તો તમારે કોઈ કલાકો સુધી કસરત કરવાની જરૂર નથી.
ઉકેલ માત્ર ૫ મિનિટનો છે! સંશોધકોનું કહેવું છે કે જો તમે દર ૧ કલાકે માત્ર ૫ મિનિટ માટે ઊભા થઈને થોડું ચાલો, તો તમે લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમોને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. આ ૫ મિનિટનું ટહેલવું તમારા શરીર માટે એક રિચાર્જ સમાન કામ કરે છે. તે માત્ર તમારી શારીરિક સ્થિતિ જ નથી સુધારતું, પરંતુ કામ કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે.
શું બ્રેક લેવાથી પરફોર્મન્સ બગડે છે?
મોટાભાગના કર્મચારીઓને ડર લાગે છે કે વારંવાર કામમાંથી બ્રેક લેવાથી તેમના પ્રોડક્ટિવિટી પર અસર પડશે. પરંતુ આ અભ્યાસના તારણો એકદમ વિપરીત છે. સંશોધનમાં સાબિત થયું છે કે:
૧. કાર્યક્ષમતામાં સુધારો: નાના બ્રેક લેવાથી મગજને તાજગી મળે છે, જેથી તમે જ્યારે પાછા કામ પર આવો છો ત્યારે વધુ ફોકસ કરી શકો છો.
૨. મૂડમાં સુધારો: એક જ જગ્યાએ બેસી રહેવાથી માનસિક થાક અને સ્ટ્રેસ વધે છે. ચાલવાથી શરીરમાં ‘હેપ્પી હોર્મોન્સ’ રિલીઝ થાય છે, જે તમારો મૂડ સુધારે છે.
૩. થકાવટમાં ઘટાડો: ૫ મિનિટની હિલચાલ સ્નાયુઓને આરામ આપે છે અને દિવસભરનો થાક ઓછો અનુભવાય છે.

