દેશના ૧૦ રાજ્યોમાં બાળકો શાળા છોડીને રસ્તા પર કેમ ઉતર્યા? શિક્ષણ વ્યવસ્થાની કડવી વાસ્તવિકતા
તાજેતરમાં જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન દેશના ઓછામાં ઓછા ૧૦ રાજ્યો અને ૨૫થી વધુ જિલ્લાઓમાંથી એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. જે હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, તે હાથમાં આંદોલનના પ્લેકાર્ડ્સ લઈને હજારો શાળાના બાળકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વિરોધ પ્રદર્શન કોઈ મોંઘી સગવડો કે ડિજિટલ સ્માર્ટ બોર્ડ માટે નહોતો, પરંતુ પીવાનું ચોખ્ખું પાણી, બેસવા માટે પાટલીઓ, ચાલુ પંખા, વિજળી, શૌચાલય અને ભણાવવા માટે પૂરતા શિક્ષકો જેવી પાયાની જરૂરિયાતો માટે હતો.
ઉત્તર પ્રદેશના ફતેહપુરથી શરૂ થયેલો આ વિરોધ જોતજોતામાં ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓ સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબ જેવા રાજ્યોમાં ફેલાઈ ગયો. વિદ્યાના ધામ ગણાતી શાળાઓની આટલી બદહાલ સ્થિતિ એ દેશની શિક્ષણ વ્યવસ્થા અને વહીવટી તંત્ર સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે.
સરકારી આંકડા વિરૂદ્ધ જમીની હકીકત: રાષ્ટ્રીય સરેરાશ અને રાજ્યો વચ્ચેનો મોટો તફાવત
શિક્ષણ મંત્રાલયના તાજેતરના UDISE+ ૨૦૨૫-૨૬ રિપોર્ટ મુજબ, દેશની શાળાઓમાં પાયાની સુવિધાઓમાં ચોક્કસપણે સુધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે ૯૫% શાળાઓમાં વીજળી, ૯૯.૫%માં પીવાનું પાણી અને લગભગ ૯૮% શાળાઓમાં શૌચાલયની સગવડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ, આ સરેરાશ આંકડાઓની પાછળની અસલી હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે.
દક્ષિણના રાજ્યોની સરખામણીમાં ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં આ સુવિધાઓનો મોટો તફાવત જોવા મળે છે:
વીજળીની ઉપલબ્ધતા: તમિલનાડુ (૧૦૦%) અને કેરળ (૯૯.૮%) માં તમામ શાળાઓમાં વીજળી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં આ આંકડો ૮૮.૮%, મધ્ય પ્રદેશમાં ૯૦.૭% અને રાજસ્થાનમાં ૯૧.૫% જ છે.
શૌચાલયની સ્થિતિ: ઉપયોગ કરી શકાય તેવા સ્વચ્છ શૌચાલયોની બાબતમાં કેરળ (૯૯.૬%) ની સામે રાજસ્થાનમાં માત્ર ૮૬.૮% અને મધ્ય પ્રદેશમાં ૯૨.૩% શાળાઓમાં જ યોગ્ય શૌચાલય છે.
આ આંકડાકીય અસમાનતા જ દર્શાવે છે કે કાગળ પર સુવિધાઓ વધી રહી હોવા છતાં, હજારો શાળાઓમાં બાળકો આજે પણ પાયાની ભૌતિક સુવિધાઓથી વંચિત છે.

RTE કાયદાનું ઉલ્લંઘન: હક્કો માટે રસ્તા પર ઉતરવા મજબૂર બાળકો
બિહારના ગયામાં સિમુઆરા મિડલ સ્કૂલના પચાસથી વધુ બાળકોએ ખરાબ મિડ-ડે મીલ, ગંદુ પાણી, શૌચાલય અને વિજળીની સમસ્યાને લઈને ૪ કિલોમીટર પગપાળા માર્ચ કરીને એસડીએમ કાર્યાલયે વિરોધ નોંધાવ્યો. મહારાષ્ટ્રના પાલઘરમાં પણ બાળકોએ સુરક્ષિત શાળા ભવનની માંગ કરી.
હકીકતમાં, આ બાળકો જે માંગણીઓ કરી રહ્યા છે તે શિક્ષણનો અધિકાર કાયદો (RTE Act, 2009) હેઠળ તેમનો કાનૂની હક છે. કાયદા મુજબ દરેક શાળામાં સુરક્ષિત મકાન, છોકરા-છોકરીઓ માટે અલગ અને સ્વચ્છ શૌચાલય, પીવાનું પૂરતું પાણી અને યોગ્ય વર્ગખંડો હોવા ફરજિયાત છે. દૂષિત ખોરાક અને પીવાના પાણીની સમસ્યા સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકાર કરાર (અનુચ્છેદ ૨૪) નું પણ સીધું ઉલ્લંઘન છે.
શિક્ષકોની ભારે અછત: ભવિષ્ય સાથે ખુલ્લો ખીલવાડ
સુવિધાઓ સિવાય સૌથી મોટી સમસ્યા શિક્ષકોની અછતની છે. મહારાષ્ટ્રના બીડ અને ધારાશિવ જિલ્લામાં વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોના શિક્ષકો ન હોવાને કારણે અનિશ્ચિત મુદતના ધરણાં કર્યા. ધારાશિવમાં તો છેલ્લા ચાર વર્ષથી વિજ્ઞાનના શિક્ષક જ નહોતા, જેથી બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું હતું. રાજસ્થાનના જાલોરમાં એક શિક્ષક પર ૧૫૦ વિદ્યાર્થીઓની જવાબદારી હોવાના અહેવાલો સામે આવ્યા.
UDISE+ ૨૦૨૫-૨૬ ના રિપોર્ટ અનુસાર, દેશમાં આજે પણ ૧,૦૦,૮૪૩ એવી શાળાઓ છે જે માત્ર ૧ જ શિક્ષકના ભરોસે ચાલે છે. ભલે આ સંખ્યા અગાઉના વર્ષ કરતા ઘટી હોય, પરંતુ એક લાખથી વધુ શાળાઓમાં એક જ શિક્ષક આખી શાળા ચલાવતો હોય તે બાબત શિક્ષણની ગુણવત્તા પર બહુ મોટો સવાલ ઊભો કરે છે.

અસુરક્ષિત મકાનો અને જોખમી મુસાફરી
શાળા પહોંચવું અને ત્યાં સુરક્ષિત બેસવું એ પણ મોટી પડકારરૂપ બાબત બની ગઈ છે. રાજસ્થાનના અલવરમાં શાળાના છતનો એક ભાગ તૂટી પડતાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શાળાને ૬ થી ૧૦ કિલોમીટર દૂર મર્જ કરી દેવાતાં વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો, કારણ કે દૂર જવામાં તેમની સુરક્ષા જોખમાતી હતી. ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને કારણે બાળકો શાળાએ પહોંચી શકતા નથી.
સુધારાની ધીમી ગતિ અને અમલીકરણનો પ્રશ્ન
એવું નથી કે દેશમાં સુધારો નથી થઈ રહ્યો. આંકડા દર્શાવે છે કે શાળાઓમાં કમ્પ્યુટર સગવડ (૬૯.૯%), ઈન્ટરનેટ (૬૭.૪%) અને શૌચાલયોની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. પરંતુ રમતગમતના મેદાનોની સુવિધા ૮૩% થી ઘટીને ૮૧.૯% થઈ ગઈ છે અને દિવ્યાંગ બાળકો માટે રેમ્પની સુવિધા માત્ર ૫૮.૨% શાળાઓમાં જ છે.
મુખ્ય પ્રશ્ન યોજનાઓ કે બજેટનો નથી, પરંતુ તેના યોગ્ય અમલીકરણનો છે. જ્યારે રાષ્ટ્રીય આંકડા પ્રગતિ દર્શાવતા હોય અને બીજી તરફ ૧૦ રાજ્યોના હજારથી વધુ બાળકોને પીવાના પાણી કે શિક્ષક માટે રસ્તા પર ઉતરવું પડતું હોય, ત્યારે સ્પષ્ટ થાય છે કે સરકારી કાગળો અને શાળાની વાસ્તવિકતા વચ્ચે હજુ પણ બહુ મોટો તફાવત છે. શિક્ષણ વ્યવસ્થાને માત્ર આંકડાકીય રીતે નહીં પણ જમીની સ્તરે મજબૂત બનાવવી આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
