સસ્તી થઈ દૈનિક જરૂરિયાતની વસ્તુઓ: GST ઘટાડાનો તમારા ઘરના બજેટ પર શું પ્રભાવ પડશે?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં GST કાઉન્સિલની ૫૬મી બેઠક બાદ GST ૨.૦ ના ભાગરૂપે કેટલાક ક્રાંતિકારી નિર્ણયોની જાહેરાત કરી છે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો, ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘવારીમાંથી રાહત આપવાનો છે. આ સુધારાઓ અંતર્ગત, દૈનિક ઉપયોગની ઘણી આવશ્યક વસ્તુઓ પરનો GST ઘટાડવામાં આવ્યો છે, જેનાથી ઘરના માસિક બજેટ પર સકારાત્મક અસર પડશે.
નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ ફેરફાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં આપવામાં આવેલા વચનને અનુરૂપ છે. બેઠકનું મુખ્ય ધ્યાન ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનું હતું, જેમાં ૧૨% સ્લેબની ૯૯% વસ્તુઓને ૫% માં અને ૨૮% સ્લેબની ૯૦% વસ્તુઓને ૧૮% માં ખસેડવામાં આવી છે. આનાથી દૈનિક જીવનની વસ્તુઓ સસ્તી થશે અને મોંઘવારી પર પણ નિયંત્રણ આવશે.
ચાલો એક ઉદાહરણ તરીકે જોઈએ કે ૪ લોકોના પરિવારના માસિક ખર્ચમાં કેટલી બચત થશે.
ઘી: અગાઉ ઘી પર ૧૨% GST લાગતો હતો, જે હવે ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે. જો ૧ કિલો ઘીનો બેઝ પ્રાઈઝ રૂ. ૫૦૦ હોય, તો જૂના દરે રૂ. ૬૦ GST થતો હતો, જ્યારે નવા દરે ફક્ત રૂ. ૨૫ થશે. આનાથી સીધા રૂ. ૩૫ નો ફાયદો થશે. જો પરિવાર દર મહિને ૨ કિલો ઘી વાપરે તો રૂ. ૭૦ ની બચત થશે.
ખાદ્ય તેલ: મોટાભાગના ખાદ્ય તેલ ૫% GST સ્લેબમાં હતા, પરંતુ કેટલીક પેકેજ્ડ બ્રાન્ડ્સ પર ૧૨% GST લાગતો હતો. હવે આ બધાને ૫% માં ખસેડવામાં આવ્યા છે. જો ૧ લિટર તેલનો બેઝ પ્રાઈઝ રૂ. ૧૫૦ હોય, તો ૧૨% ટેક્સ મુજબ રૂ. ૧૮ અને ૫% ટેક્સ મુજબ રૂ. ૭.૫ થશે. જો પરિવાર ૫ લિટર તેલ વાપરે, તો રૂ. ૫૨.૫ ની બચત થશે.
લોટ: અગાઉ બ્રાન્ડેડ લોટ પર ૫% GST લાગતો હતો, પરંતુ હવે તેને ૦% સ્લેબમાં ખસેડવામાં આવ્યો છે. જો કોઈ પરિવાર દર મહિને ૨૫ કિલો લોટ વાપરે અને ભાવ રૂ. ૪૦ પ્રતિ કિલો હોય, તો અગાઉ રૂ. ૫૦ નો ટેક્સ લાગતો હતો, જે હવે બચી જશે.
આ ઉપરાંત, માખણ, પનીર, બ્રેડ, પિઝા, દૂધ, રોટલી અને પરાઠા જેવી વસ્તુઓ પર પણ કોઈ GST રહેશે નહીં. આ બધા ફેરફારોને કારણે સામાન્ય પરિવારના માસિક બજેટમાં નોંધપાત્ર બચત જોવા મળશે.

