મોદી સરકારનો મોટો નિર્ણય: દેશમાં ખાંડના ભાવ અંકુશમાં રાખવા નિકાસ પર મૂક્યો તાત્કાલિક પ્રતિબંધ.
દેશમાં સામાન્ય જનતાના રસોડાનું બજેટ ન ખોરવાય અને ખાંડ જેવી જીવનજરૂરી વસ્તુના ભાવ નિયંત્રણમાં રહે તે માટે મોદી સરકારે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશની આંતરિક સપ્લાય જાળવી રાખવા માટે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણયથી હવે ભારત દુનિયાના અન્ય દેશોને ખાંડની નિકાસ કરશે નહીં.
ક્યાં સુધી અમલમાં રહેશે આ પ્રતિબંધ?
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, આ પ્રતિબંધ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અથવા આગામી આદેશ ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધના દાયરામાં કાચી ખાંડ (Raw Sugar), સફેદ ખાંડ અને શુદ્ધ ખાંડ (Refined Sugar) એમ તમામ પ્રકારની ખાંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આકરો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સ્થાનિક બજારમાં ખાંડના ભાવ પર દબાણ વધી રહ્યું હોવાનું જણાયું હતું.
શા માટે લેવાયો આ નિર્ણય?
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી હતી. નિકાસ પર રોક લગાવવાથી દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે, જેના કારણે ભાવમાં થતો અણધાર્યો વધારો અટકી જશે. નિકાસ પ્રતિબંધથી દેશમાં પુરવઠો સુધરશે અને મોંઘવારીના દબાણ હેઠળ રહેલા સામાન્ય ગ્રાહકોને સીધો ફાયદો થશે.
કોને મળશે આમાંથી મુક્તિ?
જોકે, સરકારે આ પ્રતિબંધમાં કેટલીક છૂટછાટો પણ આપી છે. યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં CXL અને TRQ ક્વોટા હેઠળ થતી નિકાસ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ ઉપરાંત, એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ (AAS) અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થતી ‘સરકાર-થી-સરકાર’ (G2G) નિકાસને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. વળી, જે માલ પહેલેથી જ નિકાસ પાઇપલાઇનમાં છે, એટલે કે જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેને પણ મુક્ત રાખવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારનું આ પગલું સ્થાનિક બજારને સુરક્ષિત રાખવા અને તહેવારો કે આગામી સમયમાં ખાંડની અછત ન સર્જાય તે માટેનું આગોતરું આયોજન માનવામાં આવી રહ્યું છે.

