નેપાળમાં ગ્લેશિયર બર્સ્ટ અને ભૂસ્ખલનથી ભયાનક પૂર: ૩૮૯ લોકોના મોત, ૨૯૦ ભારતીયો સહિત ૧,૪૦૦ હજુ પણ ગુમ; યુપી-બિહારમાં હાઇ એલર્ટ
નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા રાસુવા જિલ્લામાં ગ્લેશિયર તૂટવા અને ત્યારબાદ થયેલા ભીષણ ભૂસ્ખલનને કારણે ભોટેકોશી નદીમાં આકાશમાંથી આફત ઉતરી આવી છે. આ વિનાશક પૂર અને કાટમાળના કારણે હિમાલયન રાષ્ટ્ર નેપાળમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નેપાળ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર, આ હોનારતમાં મૃત્યુઆંક વધીને ૩૮૯ પર પહોંચી ગયો છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે લગભગ ૨૯૦ ભારતીય નાગરિકો સહિત આશરે ૧,૪૦૦ લોકો હજુ પણ ગુમ છે, જેમના માટે નેપાળી સેના અને રાહત એજન્સીઓ દ્વારા ભારે વરસાદ અને ભૌગોલિક પડકારો વચ્ચે શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
તિબેટમાં કૃત્રિમ તળાવ બનતાં વધ્યો ભય
ચીની સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તિબેટ ક્ષેત્રમાં આવેલી લહેન્ડે નદી પર પૂર અને કાટમાળના કારણે એક નવું અવરોધક (કૃત્રિમ) તળાવ રચાઈ ગયું છે. આ સ્થાન ભારત-નેપાળ સરહદ પર આવેલા રાસુવાગઢી પોઈન્ટથી આશરે ૧૮ કિલોમીટર ઉપર તરફ છે.
અહેવાલો મુજબ, આ તળાવમાં અત્યારે આશરે ૨ અબજ લિટર પાણીનો વિષાળ જથ્થો એકઠો થઈ ચૂક્યો છે. જો આ ડેમ કે તળાવનો બંધ તૂટશે તો નીચેના નીચાણ વાળા વિસ્તારોમાં વધુ એક ભયાનક પૂર આવવાનું જોખમ રહેલું છે, જેના કારણે બંને દેશોની સરહદી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન અને સેનાનું બચાવ ઓપરેશન
પૂરના રૌદ્ર પ્રવાહના કારણે નેપાળના પહાડી વિસ્તારોનું જનજીવન અને માળખાકીય સુવિધાઓ સંપૂર્ણપણે છિન્નભિન્ન થઈ ગઈ છે. સરકારી ડેટા અનુસાર, પૂરના પાણીમાં ૩૫ પાકા પુલ અને ૪૫ ઝૂલતા પુલ (સસ્પેન્શન બ્રિજ) ધોવાઈ ગયા છે, જેના પરિણામે સેંકડો ગામડાઓનો સંપર્ક દેશના મુખ્ય ભાગથી તૂટી ગયો છે.
આ ઉપરાંત, દેશની ઊર્જા વ્યવસ્થાને ફટકો આપતાં ૧૩ જેટલા જળવિદ્યુત (હાઇડ્રોપાવર) પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. નદી કિનારે ઉભા રહેલા અનેક વાહનો અને ઘરો તાડાપીઠ પ્રવાહમાં તણાઈ ગયા છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે નેપાળી સેનાએ મોરચો સંભાળ્યો છે અને અત્યાર સુધીમાં અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાંથી ૨૫૦ થી વધુ લોકોને હેલિકોપ્ટર અને બોટ મારફતે બચાવી લેવામાં આવ્યા છે.
#WATCH | Nuwakot, Nepal: Severe destruction reported in Nuwakot district following catastrophic flash floods.
Riverside settlements and commercial hubs, including Tupche, are completely buried under thick sheets of mud and rock.
(Source: Reuters) pic.twitter.com/thWMChpd9h
— ANI (@ANI) August 28, 2026
ઉત્તર પ્રદેશ અને બિહારમાં હાઇ એલર્ટ
નેપાળમાં ભોટેકોશી અને અન્ય નદીઓમાં આવેલા પૂરના કારણે ભારતના સીમાવર્તી રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહાર પર પણ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. નેપાળમાંથી આવતા પાણીના ભયાનક જથ્થાને ધ્યાનમાં રાખીને ગંડક, નારાયણી અને કોસી નદીઓના જળસ્તર પર ૨૪ કલાક સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને કુશીનગર જિલ્લા સહિત બિહારના પશ્ચિમ ચંપારણ જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્રે હાઇ એલર્ટ જારી કરી દીધું છે અને નદી કાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે.
ભારત-નેપાળ મૈત્રી બસ સેવા રદ્દ
આ કુદરતી આફતની સીધી અસર બંને દેશો વચ્ચેની રોડ કનેક્ટિવિટી પર પણ પડી છે. માર્ગો ધોવાઈ જવાના અને સુરક્ષાના કારણોસર દિલ્હી સરકાર અને દિલ્હી પરિવહન નિગમ (DTC) એ ભારત-નેપાળ મૈત્રી બસ સેવાને આગામી ૨ દિવસ માટે સ્થગિત કરી દીધી છે.
ડીટીસી દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ, દિલ્હી-કાઠમંડુ રૂટ પરનો વાહનવ્યવહાર પૂરના કારણે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૨૮ અને ૨૯ ઓગસ્ટના રોજ દિલ્હીથી કાઠમંડુ જતી તમામ બસો રદ્દ કરવામાં આવી છે.
