લોન સાથે વીમો લેવાની હવે કોઈ જરૂર નથી! આરબીઆઈએ બેંકોની મનમાની પર લગાવી કડક લગામ
દેશની બેંકિંગ સિસ્ટમ અને નાણાકીય વ્યવહારોને વધુ પારદર્શક તેમજ ગ્રાહકલક્ષી બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે (RBI) એક અત્યંત પ્રશંસનીય અને કડક પાસું અપનાવ્યું છે. અવારનવાર એવું જોવા મળે છે કે બેંકિંગ સ્ટાફ અથવા એજન્ટો પોતાના સેલ્સ ટાર્ગેટ પૂરા કરવા માટે ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને એવી પ્રોડક્ટ્સ પધરાવી દે છે, જેની ગ્રાહકને કોઈ જરૂર જ હોતી નથી. પરંતુ હવે આરબીઆઈએ ‘મિસ-સેલિંગ’ (Mis-selling) એટલે કે ખોટી રીતે નાણાકીય ઉત્પાદનો વેચવા સામે યુદ્ધ છેડ્યું છે.
સામાન્ય ગ્રાહકો માટે બેંકિંગ સેવાઓ વધુ સુરક્ષિત બનવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કસ્ટમર પ્રોટેક્શનને મજબૂત કરવા માટે એક વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી છે, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી દેશભરમાં સત્તાવાર રીતે લાગુ થઈ જશે. આ નવા નિયમો લાગુ થયા બાદ કોઈપણ બેંક, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) કે તેમના લોન એજન્ટો ગ્રાહકોને છેતરીને કે અધૂરી માહિતી આપીને નાણાકીય સેવાઓ વેચી શકશે નહીં.
‘મિસ-સેલિંગ’ શું છે? આરબીઆઈએ વ્યાખ્યા સ્પષ્ટ કરી
અત્યાર સુધી સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે ખોટી માહિતી આપવી એટલું જ મિસ-સેલિંગ છે. પરંતુ આરબીઆઈએ આ વખતે તેની વ્યાખ્યા ખૂબ જ વિગતવાર અને કડક બનાવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, જો કોઈ ગ્રાહકની પ્રોફાઇલ, તેની વાર્ષિક આવક, જોખમ લેવાની ક્ષમતા (Risk Appetite) અથવા તેની વાસ્તવિક જરૂરિયાતોને મેચ ન થતી હોય તેવી પ્રોડક્ટ તેને પધરાવવામાં આવે, તો તેને મિસ-સેલિંગ ગણવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાહકની સ્પષ્ટ લેખિત કે ડિજિટલ સંમતિ વિના પ્રોડક્ટ એક્ટિવેટ કરવી, હિડન ચાર્જીસ છુપાવવા અને ગેરમાર્ગે દોરનારી વાતો કરવી પણ આ દાયરામાં આવશે.
ગ્રાહકોને મળશે ૧૦૦% રિફંડની ગેરંટી
નવા નિયમોમાં ગ્રાહકોની તરફેણમાં સૌથી મોટો નિર્ણય એ લેવાયો છે કે જો કોઈ બેંક કે સંસ્થા દ્વારા ખોટી રીતે પ્રોડક્ટ વેચવામાં આવી હોવાનું સાબિત થશે, તો સંબંધિત બેંકે તે પ્રોડક્ટ તાત્કાલિક રદ (Cancel) કરવી પડશે. એટલું જ નહીં, ગ્રાહકે તે પ્રોડક્ટ પાછળ ખર્ચેલી પૂરેપૂરી રકમ એટલે કે ૧૦૦% રિફંડ વ્યાજ કે અન્ય કોઈ કાપ વિના પરત આપવું પડશે. આ જોગવાઈથી એવા કરોડો ગ્રાહકોને મોટી રાહત મળશે જેઓ એજન્ટોની ભ્રામક વાતોમાં આવીને મોંઘી વીમા પોલિસીઓ કે નકામી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ ખરીદી લેતા હતા.
બળજબરીથી પ્રોડક્ટ વેચવા પર (Forced Bundled) સંપૂર્ણ પ્રતિબંધ
ઘણીવાર ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે કે જ્યારે તેઓ હોમ લોન અથવા કાર લોન લેવા માટે બેંકમાં જાય છે, ત્યારે બેંકિંગ સ્ટાફ એવી શરત મૂકે છે કે જો તમે અમારી કંપનીનો વીમો કે ક્રેડિટ કાર્ડ નહીં લો, તો લોન પાસ નહીં થાય. આરબીઆઈએ આવા ફરજિયાત બંડલિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે કોઈપણ ગ્રાહક પર વધારાની પેઇડ પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરી શકાશે નહીં.
ડિજિટલ પ્લેટફોર્મ અને ફિનફ્લુએન્સર્સ (Finfluencers) પણ કાયદાના દાયરામાં
આજના ડિજિટલ યુગમાં બેંકો માત્ર બ્રાન્ચ પૂરતી મર્યાદિત નથી. તેથી જ આરબીઆઈએ સોશિયલ મીડિયા પર નાણાકીય સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સ, ડિજિટલ માર્કેટિંગ પાર્ટનર્સ અને લોન એપ્સને પણ આ નિયમો હેઠળ આવરી લીધા છે. જો કોઈ થર્ડ પાર્ટી એજન્ટ સોશિયલ મીડિયા કે ઓનલાઈન માધ્યમથી ખોટી માહિતી ફેલાવીને ગ્રાહકને પ્રોડક્ટ વેચશે, તો તેની સીધી જવાબદારી જે-તે બેંક કે નાણાકીય સંસ્થાની રહેશે.
ગ્રાહકોના જીવનમાં શું મોટો બદલાવ આવશે?
આ ક્રાંતિકારી નિયમો અમલમાં આવ્યા બાદ બેંકો અને એનબીએફસી માટે ગ્રાહકોના ભોગે પોતાના સેલ્સ ટાર્ગેટ પૂરા કરવાનું અશક્ય બની જશે. ગ્રાહકોને કોઈપણ નાણાકીય ઉત્પાદન ખરીદતા પહેલા તેના જોખમો, વાર્ષિક વ્યાજ દર, પેનલ્ટી અને તમામ નિયમો તથા શરતોની સ્પષ્ટ અને સરળ ભાષામાં માહિતી અગાઉથી આપવી પડશે. વધુમાં, વિવિધ સેવાઓ માટે ગ્રાહકની અલગ-અલગ અને સ્પષ્ટ સંમતિ મેળવવી ફરજિયાત રહેશે, જેમાં પૂર્વ-પસંદ કરેલા (Pre-ticked) બોક્સ માન્ય ગણાશે નહીં.

