વૈશ્વિક તણાવ વચ્ચે સોનાના ભાવો આસમાને પહોંચવાનો કેમ દૂર થયો ડર?
વૈશ્વિક આર્થિક પ્રવાહો અને સરકારની કડક નીતિઓની સીધી અસર હવે ભારતીય સોનાના બજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. દેશની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા અને વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ) ને બચાવવા માટે સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાંના કારણે સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. આયાત ડ્યુટીમાં કરાયેલા તોતિંગ વધારા બાદ હવે સ્થાનિક વેપારીઓ વિદેશથી સોનું મંગાવવામાં ભારે ખચકાટ અનુભવી રહ્યા છે, જેના કારણે સોનાની આયાત ઘટીને માત્ર ૨૫થી ૩૦ ટન સુધી સીમિત થઈ ગઈ છે.
ભારતમાં સોના પ્રત્યેનો આકર્ષણ જગજાહેર છે. લગ્નસરાની સિઝન હોય કે તહેવારો, ભારતીયો સોનાની ખરીદીમાં મોખરે રહે છે. પરંતુ, જ્યારે મોંઘવારી આખા દેશને પરેશાન કરી રહી હતી, ત્યારે અર્થતંત્રના સંતુલનને જાળવી રાખવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો હતો. સરકારે વિદેશથી આવતા બિન-આવશ્યક સામાનની આયાત ઘટાડવા માટે સોના પરની આયાત ડ્યુટી (ઇમ્પોર્ટ ડ્યુટી) વધારી દીધી હતી. હવે સરકારી આંકડાઓ સાબિત કરે છે કે સરકારનું આ પગલું સો ટકા સફળ રહ્યું છે.
આયાત ડ્યુટી ૧૫% થતાં જ જથ્થામાં ૭૦% નો મોટો ઘટાડો
એક વરિષ્ઠ સરકારી અધિકારી પાસેથી મળેલી વિગતો અનુસાર, દેશમાં સોનાની આયાતનો જથ્થો અગાઉની સરખામણીએ આશરે ૭૦ ટકા જેટલો ઘટી ગયો છે. જ્યાં પહેલા દેશમાં દર મહિને સરેરાશ ૭૫ થી ૧૦૦ ટન સોનાની આયાત થતી હતી, તે હવે ઘટીને માત્ર ૨૫ થી ૩૦ ટન સુધી સીમિત થઈ ગઈ છે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ ટેક્સનું નવું માળખું છે. સરકારે ગત ૧૩ મેના રોજ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી ૬ ટકાથી સીધી વધારીને ૧૫ ટકા કરી દીધી હતી. આ નવ ટકાના તોતિંગ વધારાના કારણે વિદેશથી સોનું મંગાવવું વેપારીઓ માટે મોંઘો સોદો બની ગયો, પરિણામે વિદેશી સોનાની ખરીદીમાં ભારે ઓટ આવી છે.
કિંમતો વધવાને કારણે આયાત બિલમાં ઉછાળો
જોકે, અહીં એક રસપ્રદ આર્થિક પાસું પણ સામે આવ્યું છે. સોનાના જથ્થામાં ભલે ઘટાડો થયો હોય, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવો ખૂબ ઊંચા હોવાને કારણે ભારતનું આયાત બિલ કિંમતની દ્રષ્ટિએ વધી ગયું છે. મે મહિનામાં ભારતનું સોનાનું આયાત બિલ વાર્ષિક ધોરણે ૩૪% વધીને ૩.૪૧ બિલિયન અમેરિકી ડોલર થયું હતું. તેવી જ રીતે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના એપ્રિલ-મે મહિના દરમિયાન સોનાની આયાતની કુલ કિંમત ૬૦.૧૪% વધીને ૯.૦૪ બિલિયન યુએસ ડોલર પર પહોંચી ગઈ હતી.
જો પાછલા સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની સરખામણી કરીએ, તો ભારતે કુલ ૭૧.૯૮ બિલિયન ડોલરના મૂલ્યનું સોનું આયાત કર્યું હતું, પરંતુ સોનાના જથ્થાની દ્રષ્ટિએ તે ૪.૭૬% ઘટીને ૭૨૧.૦૩ ટન જ રહ્યું હતું.
વડાપ્રધાનની અપીલ અને બજારની સ્થિરતા
નોંધનીય છે કે વૈશ્વિક સ્તરે ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે દુનિયાભરમાં ફુગાવો (મોંઘવારી) ઝડપથી વધ્યો હતો. આ વૈશ્વિક સંકટને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને એક વિશેષ અપીલ કરી હતી. તેમણે દેશહિતમાં લોકોને વિનંતી કરી હતી કે ખૂબ જ અનિવાર્ય ન હોય ત્યાં સુધી લગભગ એક વર્ષ માટે સોનાની ખરીદી ટાળે અથવા ઓછી માત્રામાં ખરીદે.
આ અપીલ બાદ બજારમાં એવી અફવાઓ અને ડર ફેલાયો હતો કે કદાચ દેશમાં સોનાના ભાવો આસમાને પહોંચી જશે. પરંતુ, સરકારની મજબૂત આર્થિક વ્યૂહરચના અને આયાત ડ્યુટીના યોગ્ય વ્યવસ્થાપનને કારણે આવું કંઈ ન થયું. ફુગાવાના આ આખા સમયગાળા દરમિયાન દેશમાં સોનાના ભાવો મોટાભાગે નિયંત્રણમાં અને સ્થિર રહ્યા છે, જે સામાન્ય ગ્રાહકો અને સરકાર બંને માટે મોટી રાહતના સમાચાર છે.