બિહારના રાજકારણમાં મોટો વળાંક: નીતીશ કુમારે રાજ્યસભા માટે નોંધાવ્યું નામાંકન
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સત્તાવાર રીતે રાજ્યસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. પટનામાં બિહાર વિધાનસભા ખાતે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ના અન્ય ઉમેદવારો સાથે મળીને તેમણે ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજર રહ્યા હતા, જે બદલાતા રાજકીય સમીકરણોનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.
દિગ્ગજ નેતાઓની હાજરી અને ભવ્ય સ્વાગત
નામાંકન પ્રક્રિયા પહેલાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પટના પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી નીતીશ કુમારે શાલ અને પુષ્પગુચ્છ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં નીતીશ કુમારની સાથે નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે પણ એનડીએ ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે નામાંકન દાખલ કર્યું છે. કેન્દ્રીય મંત્રી લલન સિંહ સહિત ભાજપ અને જેડીયુના અનેક વરિષ્ઠ નેતાઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
10 એપ્રિલ સુધી મુખ્યમંત્રી પદે રહેશે નીતીશ
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતીશ કુમાર તત્કાલ મુખ્યમંત્રી પદ છોડશે નહીં. વર્તમાન રાજ્યસભાનો કાર્યકાળ 10 એપ્રિલ 2026 સુધીનો છે, તેથી નીતીશ કુમાર આ તારીખ સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. નવો ટર્મ શરૂ થયા બાદ જ તેઓ ઉચ્ચ સદનમાં પોતાની જવાબદારી સંભાળશે. જોકે, તેમના સ્થાને હવે જેડીયુ (JDU) ની કમાન કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ તેજ છે કે નીતીશ કુમારના પુત્રને પક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
જનતા પ્રત્યે આભાર અને નવી જવાબદારી
વર્ષ 2005થી સતત બિહારના મુખ્યમંત્રી રહેલા નીતીશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવુક પોસ્ટ લખી છે. તેમણે બિહારની જનતાનો આભાર માનતા કહ્યું કે, “બે દાયકાથી વધુ સમય સુધી તમે જે વિશ્વાસ મારા પર મૂક્યો છે, તેના જોરે જ મેં રાજ્યની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. આજે બિહાર વિકાસ અને ગૌરવની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, સંસદીય જીવનની શરૂઆતથી જ તેમની ઈચ્છા હતી કે તેઓ બિહાર વિધાનસભાના બંને ગૃહોની સાથે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ના સભ્ય બને. આ ઈચ્છા પૂરી કરવા માટે તેઓ આ વખતે રાજ્યસભામાં જઈ રહ્યા છે.
માર્ગદર્શકની ભૂમિકામાં નીતીશ કુમાર
નીતીશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે સત્તા પરિવર્તન પછી પણ તેઓ બિહારના વિકાસમાં પોતાનું યોગદાન આપતા રહેશે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે રાજ્યમાં બનનારી નવી સરકાર અને નવા મુખ્યમંત્રીને તેમનું સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ મળતો રહેશે. નીતીશ કુમારના આ નિર્ણયથી બિહારના રાજકારણમાં હવે ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધો કઈ દિશામાં જાય છે અને આગામી મુખ્યમંત્રી કોણ બને છે, તેના પર સૌની નજર ટકેલી છે.

