NEET પરીક્ષા પહેલાં ટેલિગ્રામ પર મોટો પ્રતિબંધ! શું તમારી પાસે પણ એપ નથી ચાલી રહી?
તાજેતરમાં લેવાયેલી NEET-UG 2026 ની પરીક્ષામાં પેપર લીક થવાના ગંભીર કિસ્સા બાદ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ભલામણ પર ભારત સરકારે ટેલિગ્રામ એપ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 22 જૂન સુધી લાગુ રહેશે. આ નિર્ણયના વિરોધમાં ટેલિગ્રામ પ્લેટફોર્મે બુધવારે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલે હવે ગુરુવારે સુનાવણી થવાની છે, જે સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બની છે.
શું છે સમગ્ર વિવાદ?
3 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં લગભગ 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, પરંતુ પેપર લીક થવાની ઘટનાને કારણે આ પરીક્ષા રદ કરવી પડી હતી. આગામી 21 જૂનના રોજ ફરીથી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર અને NTA નું માનવું છે કે પેપર લીક જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ટેલિગ્રામનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે, તેથી સુરક્ષાના ભાગરૂપે આ એપને બ્લોક કરવામાં આવી છે.
કોર્ટમાં ટેલિગ્રામનો પક્ષ: “આ નિર્ણય ગેરકાયદેસર છે”
બુધવારે જસ્ટિસ તેજસ કારિયાની સામે સુનાવણી દરમિયાન, ટેલિગ્રામના વકીલે સરકારના આ નિર્ણયને “ગેરકાયદેસર” અને “અત્યંત અપ્રમાણસર” ગણાવ્યો હતો. ટેલિગ્રામની દલીલ છે કે આખા પ્લેટફોર્મને બ્લોક કરવાને બદલે, માત્ર ચોક્કસ ગેરકાયદેસર માહિતી કે ચેનલો પર કાર્યવાહી કરવી જોઈતી હતી.
ટેલિગ્રામના વકીલે દલીલ કરી હતી કે આ નિર્ણયથી ભારતના 15 કરોડથી વધુ યુઝર્સ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે, “તમે માત્ર અમુક ચોક્કસ માહિતી બ્લોક કરી શકો છો, આખા પ્લેટફોર્મને સંપૂર્ણ રીતે બંધ કરવું એ યોગ્ય નથી. આ નિર્ણય લેતી વખતે બૌદ્ધિક વિચારણાનો અભાવ જણાય છે.” ટેલિગ્રામનો દાવો છે કે જ્યારે પણ સરકારી સત્તાવાળાઓએ તેમને કોઈ ગેરકાયદેસર સામગ્રી વિશે જાણ કરી છે, ત્યારે તેમણે તાત્કાલિક પગલાં લઈને તે સામગ્રી દૂર કરી છે.
સરકારનો કઠોર વલણ: સોલિસિટર જનરલની ચેતવણી
બીજી તરફ, ભારત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારના પગલાનો બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મનો ગંભીર દુરુપયોગ થઈ રહ્યો છે. તુષાર મહેતાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ટેલિગ્રામને અગાઉ ઘણી વખત જાણ કરવામાં આવી હતી કે તેમના પ્લેટફોર્મ પર ખોટી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પરંતુ એપ દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા.
સોલિસિટર જનરલે વધુમાં કહ્યું કે, તેઓ ગુરુવારે કોર્ટ સમક્ષ એવી “ચોંકાવનારી વિગતો” રજૂ કરશે, જે સાબિત કરશે કે સરકાર શા માટે આ નિર્ણય લેવા મજબૂર થઈ હતી.
વિદ્યાર્થીઓ અને બંધારણીય અધિકારોનો સવાલ
ટેલિગ્રામની અરજીમાં એ પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે આ એપનો ઉપયોગ માત્ર પેપર લીક માટે જ નહીં, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો શૈક્ષણિક તૈયારીઓ માટે પણ કરે છે. પ્રતિબંધને કારણે વિદ્યાર્થીઓની તૈયારી પર પણ અસર પડી રહી છે.
ટેલિગ્રામના વકીલે બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નો હવાલો આપતા આક્ષેપ કર્યો હતો કે સરકાર તેમને એકલા પાડી રહી છે, જ્યારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મુક્તપણે કામ કરી રહ્યા છે. ટેલિગ્રામનું કહેવું છે કે આ ભેદભાવપૂર્ણ વલણ છે.

